ચીન કહે છે કે પ્રાચીન કાળથી જ તેના નેતાઓને દલાઈ લામા પસંદ કરવાનો અધિકાર છે. આ પરંપરા હેઠળ સંભવિત નામો સોનાના કળશમાંથી લેવામાં આવે છે. તેની શરૂઆત ૧૭૯૩માં કિંગ રાજવંશ દરમિયાન થઈ હતી.
બૌદ્ધ ધાર્મિક નેતા દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ ધાર્મિક નેતાએ પોતે તેમના પુસ્તકમાં સંકેત આપ્યો કે જ્યારે તેઓ 90 વર્ષના થશે ત્યારે તેઓ ઉત્તરાધિકારી વિશે માહિતી આપશે. ખાસ વાત એ છે કે ઉત્તરાધિકારીની પસંદગી ચીન, ભારત અને અમેરિકા માટે પણ મહત્વપૂર્ણ છે.
દલાઈ લામા કેવી રીતે ચૂંટાયા?
તિબેટી પરંપરા મુજબ, જ્યારે કોઈ વરિષ્ઠ બૌદ્ધ સાધુ મૃત્યુ પામે છે, ત્યારે તેનો આત્મા પુનર્જન્મ પામે છે. 14મા દલાઈ લામાનો જન્મ 6 જુલાઈ 1935ના રોજ થયો હતો. તેમનો જન્મ પૂર્વી ઉત્તરી તિબેટમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો અને તેમનું નામ લ્હામો થોન્ડુપ રાખવામાં આવ્યું હતું. તેમને તે પુનર્જન્મ પામેલા આત્મા તરીકે ઓળખવામાં આવ્યા હતા.
ત્યારબાદ તિબેટીયન સરકાર દ્વારા મોકલવામાં આવેલી એક ટીમે અનેક સંકેતો મળ્યા બાદ તેમની ઓળખ કરાય હતી. રોઇટર્સના અહેવાલ મુજબ, ટીમે જોયું કે 13મા દલાઈ લામાની વસ્તુઓ જોયા પછી, બાળકે કહ્યું કે આ મારા છે, આ મારા છે. 1940માં, લ્હામો થોન્ડુપને લ્હાસાના પોટાલા પેલેસમાં લઈ જવામાં આવ્યા અને તેમને તિબેટી લોકોના આધ્યાત્મિક નેતા જાહેર કરવામાં આવ્યા.
આગામી દલાઈ લામાની પસંદગી કેવી રીતે થશે?
માર્ચ 2025 માં પ્રકાશિત થયેલા પુસ્તક "વોઇસ ફોર ધ વોઇસલેસ" માં દલાઈ લામા લખે છે કે તેમના ઉત્તરાધિકારીનો જન્મ ચીનની બહાર થશે. નિર્વાસિત તિબેટીયન સંસદે કહ્યું કે નિર્વાસિત સરકારને તેનું કાર્ય ચાલુ રાખવા માટે સક્ષમ બનાવવા માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. જ્યારે, ગાડેન ફોદ્રાંગ ફાઉન્ડેશનના અધિકારીઓ તેમના ઉત્તરાધિકારીને શોધવા અને ઓળખવાની જવાબદારી લેશે.
આ ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 2015 માં કરવામાં આવી હતી. તેમના ઘણા વિશ્વાસુઓ આ ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓ છે.
ચીનની દખલગીરી
ચીન કહે છે કે પ્રાચીન કાળથી જ તેના નેતાઓને દલાઈ લામા પસંદ કરવાનો અધિકાર છે. આ પરંપરા હેઠળ, સોનાના કળશમાંથી સંભવિત નામો લેવામાં આવે છે. તેની શરૂઆત 1793માં કિંગ રાજવંશ દરમિયાન થઈ હતી. હવે ઘણા તિબેટીઓને શંકા છે કે ઉત્તરાધિકારી પસંદ કરવાના નામે સમુદાય પર પોતાનો પ્રભાવ વધારવા માટે આ ચીનનું એક કાવતરું છે.
ભારત અને અમેરિકા
ઘણા ભારતીયો દલાઈ લામામાં વિશ્વાસ ધરાવે છે અને અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય સંબંધોના ઘણા નિષ્ણાતો માને છે કે ભારતમાં તેમની હાજરી નવી દિલ્હીને ચીન સામે ફાયદો કરાવે છે. તે જ સમયે, અમેરિકાએ પણ વારંવાર કહ્યું છે કે તે તિબેટીઓના માનવ અધિકારોનું રક્ષણ કરવા તૈયાર છે. યુએસ કાયદા નિર્માતાઓએ એમ પણ કહ્યું છે કે તેઓ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીમાં ચીનને પ્રભાવિત થવા દેશે નહીં.